સુરત ખાતે ખોજા સમાજ દ્વારા ભગવાન શ્રીરામની કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત

સુરત: અયોધ્યા ખાતે 22મી જાન્યુઆરીના રોજ ભગવાન શ્રીરામના મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો છે ત્યારે દેશભરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. દરમિયાન અયોધ્યા ખાતેથી નીકળેલી ભગવાન શ્રીરામની કળશ યાત્રાનું સુરત ખાતે શિયા ઇમામી ઈસ્માઈલી ખોજા સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
કળશ યાત્રા ઘોડદોડ રોડ સ્થિત પ્રેસિડેન્ટ ટાવર કો ઓપેરેટિવ હાઉસિંગ સોસાયટી ખાતે આવી પહોંચતા ખોજા સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં સમાજના ભાઈ બહેનો દ્વારા વાજતે ગાજતે કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ખોજા સમાજના અગ્રણી રશ્મિન હાલાની એ જણાવ્યું હતું કે આયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરનો જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવી રહ્યો છે ત્યારે આ ખોજા સમાજ પણ ખુશીની લાગણી વ્યક્ત કરી રહ્યું છે. આજે આયોધ્યાથી જ્યારે કળશ યાત્રા તેમની સોસાયટી ખાતે પધારી છે ત્યારે ખોજા સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવાની સાથે જ શ્રીરામચંદ્ર ભગવાનનું પૂજન, આરતી કરવામાં આવી હતી સાથે જ ભોજન સમારોહનું આયોજન કરીને હિન્દુ મુસ્લિમ એકતાનો શ્રેષ્ઠ સંદેશ આપવામાં આવ્યો હતો.